શિયાળુ પાકમાં માવઠાની આફત: પાક બચાવવાનો સચોટ એક્શન પ્લાન

શિયાળુ પાકમાં માવઠાની આફત: તમારા કિંમતી પાકને બચાવવા માટેનો સચોટ અને તકનીકી એક્શન પ્લાન

કમોસમી વરસાદ બાદ પાક સંરક્ષણ માટે ખેડૂત મિત્રોની ખાસ માર્ગદર્શિકા

ગુજરાતમાં જ્યારે શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ એટલે કે 'માવઠું' થાય છે, ત્યારે ખેડૂત મિત્રોના જીવ અધ્ધર થઈ જાય છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદી પાણી શિયાળુ પાક જેવા કે જીરું, ચણા, ઘઉં અને રાયડા માટે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે. પરંતુ જો સમયસર અને સમજદારીપૂર્વક માવજત કરવામાં આવે, તો નુકસાનને ઘણું ખરું અટકાવી શકાય છે. આજના આ બ્લોગમાં આપણે માવઠા પછી લેવાના થતા પગલાં અને કઈ તકનીકી દવાઓનો ઉપયોગ કરવો તેની વિગતવાર માહિતી મેળવીશું.

વરસાદનું પાણી (માવઠું)

કમોસમી વરસાદનું પાણી અત્યંત ઠંડુ હોય છે. આ ઠંડક પાક માટે હાનિકારક છે કારણ કે તે છોડની આંતરિક પ્રક્રિયાઓને ધીમી પાડી તેને જડ બનાવી દે છે. આ ઠંડુ વાતાવરણ અને હવામાં વધતો ભેજ ફૂગના રોગોને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે.

પાલર પાણી (કુવા કે બોરનું પાણી)

ઘણી ખેડૂત મિત્રો માવઠા પછી કુવા કે બોરનું હૂંફાળું પાણી આપવાનું પસંદ કરે છે. આ પાણી જમીનના બંધ થયેલા છિદ્રોને ખોલે છે, જેથી મૂળ સુધી હવાની અવરજવર વધે છે. આ હૂંફાળું પાણી છોડને માવઠાના આઘાતમાંથી બહાર લાવી ફરીથી વિકાસ (ગ્રોથ) કરવામાં મદદરૂપ થાય છે.

પાણીનો નિકાલ

ખેતરમાં જે જગ્યાએ વરસાદી પાણી ભરાયું હોય, ત્યાં નીક બનાવીને પાણીને તાત્કાલિક બહાર કાઢો. ભરાયેલું પાણી મૂળને કોહવાડવા તરફ દોરી જાય છે.

પિયત પર નિયંત્રણ

માવઠા પછી જમીનમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. તેથી જ્યાં સુધી જમીન બરાબર સુકાય નહીં અને વરાપ ન થાય સુધી નવું પિયત આપવાનું બિલકુલ બંધ રાખવું.

આંતરખેડ કરવી

જમીન ઉપરથી થોડી સુકાય એટલે કરબ કે સાંતી ચલાવવી. આનાથી જમીન પોચી થશે, મૂળને ઓક્સિજન મળશે અને પાક ફરી બેઠો થશે.

પાકનું નામ મુખ્ય જોખમ સચોટ તકનીકી દવા અને માપ
જીરું ચરમી (ચુકારો) અને કાળિયો એઝોક્ષીસ્ટ્રોબીન + ટેબ્યુકોનાઝોલ ૧૫ થી ૨૦ મિલી અથવા મેન્કોઝેબ ૭૫% (૩૦ ગ્રામ)
ચણા લશ્કરી ઈયળ અને પોપટાની ઈયળ ઈમામેક્ટીન બેન્ઝોએટ ૧.૯% ઈ.સી. ૧૫ થી ૨૦ મિલી
રાયડો મોલો-મશી (ચુસીયા જીવાત) થાયામેથોક્ષામ ૨૫% અથવા ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮% ૫ ગ્રામ અથવા ૭ મિલી
ધાણા ભૂકી છારો (સફેદ ફૂગ) પ્રોપિકોનાઝોલ ૨૫% ૧૦ થી ૧૨ મિલી અથવા દ્રાવ્ય સલ્ફર ૮૦% (૩૦ ગ્રામ)
ઘઉં પીળો ગેરુ અને પાનનો સુકારો ટેબ્યુકોનાઝોલ ૨૫.૯% અથવા પ્રોપિકોનાઝોલ ૨૫% ૧૫ મિલી

પાકને ફરી બેઠો કરવા માટે પોષણ માવજત

  • પાણીમાં ઓગળી જાય તેવા ખાતરો: છોડને તાત્કાલિક શક્તિ આપવા માટે પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય તેવા ખાતરોનો ૧૦૦ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
  • જસત (ઝીંક): પાકની પીળાશ દૂર કરવા અને નવી ફૂટ લાવવા માટે ૨૦ ગ્રામ ચિલેટેડ જસત (ઝીંક) ભેળવવું.
  • સૂક્ષ્મ તત્વો: છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી વિવિધ સૂક્ષ્મ તત્વો (માઈક્રોન્યુટ્રીઅન્ટ) ધરાવતા મિશ્રણનો ઉપયોગ કરવો.
  • સિલિકોન સ્ટીકર: વરસાદી માહોલ હોવાથી દવાની સાથે સિલિકોન યુક્ત સ્ટીકર ચોક્કસ ભેળવવું જેથી દવા ધોવાઈ ન જાય અને પૂરી અસર મળે.

ખાસ ચેતવણી: ખેડૂત મિત્રો ધ્યાન આપો

  • • બિનજરૂરી મોંઘી દવાઓ કે વધારાના ખાતરોનો છંટકાવ કરીને ખોટો આર્થિક બોજ ન વધારવો.
  • • બજારમાં મળતી ફાલતુ અને બિનજરૂરી પ્રોડક્ટ પાછળ પૈસા ન બગાડવા.
  • • પાક સાવ નિષ્ફળ જવાની સ્થિતિમાં હોય ત્યારે આડેધડ ખર્ચ કરવાથી માત્ર આર્થિક નુકસાન જ વધશે.
  • • ઉતાવળમાં આવીને કોઈપણ નિર્ણય ન લેવો, પહેલા પાકની સ્થિતિનું શાંતિથી નિરીક્ષણ કરવું.
એગ્રીબોન્ડ
ખેડૂતોની પ્રગતિનું હમસફર

લાઈક કરવા માટે લોગ ઈન કરો.